27 February 2020


28 ફેબ્રુઆરી એટલે...‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’/‘National Science Day’ની વિશેષ  માહિતી


ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.

ચાલો, આ મહાન વિજ્ઞાનીના જીવનને જાણીએ. 

જન્મ અને બાળપણ :- 

     સર સી. વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિઝાગ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું. 

અભ્યાસ :-     

 રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ, કોલકતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 

રામન અસર :-      

    ચંદ્રશેખર વ્યંકટ રામન જે સી.વી. રામનના નામે વિશ્વમાં વિખ્યાત છે તેઓએ ૪૦ વર્ષની વયે તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ભૌતિકશાસ્ત્રના પ્રકાશ વિજ્ઞાનમાં અતિ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી. જે માટે તેમને ઈ.સ. ૧૯૩૦માં ફિઝીકસનું નોબેલ પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું. રામન અસર એ પ્રકાશમાં અનુભવાતી વિવિધ ઘટનાઓમાંની વિકિર્ણન અંગેની ઘટના ઉપર આધારિત છે. ચોક્કસ આવૃત્તિવાળો એકરંગી પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની રેખાઓની આકૃત્તિઓ રચાય છે. આ વર્ણપટને "રામન વર્ણપટ’’ કહે છે. અને આ ઘટના ''રામન અસર’’ કહેવામાં આવે છે. સ્થાન ફેરાવાળી આવૃત્તિઓ આપાત આવૃત્તિથી સ્વતંત્ર હોય છે. પરંતુ વિકિર્ણન કરતાં માધ્યમના અણુની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. ઈ.સ. ૧૯૨૩માં શોધાયેલ ક્ષ-કિરણોના વિકિર્ણનને સમજાવતી ''કોમ્પટન અસર’’ની જોડીદાર જેવી રામન અસર છે. કોમ્પટન અસરએ એચ.કોમ્પટન નામના વિજ્ઞાનીએ શોધેલ જેમાં તેણે શોધેલું કે આપાત કિરણની તરંગ લંબાઈ કરતાં વિકિર્ણન પામતા કિરણની તરંગ લંબાઈ મોટી હોય છે અને આને આધારે પ્રકાશના ''કવોન્ટમવાદ’’ને સમજાવેલ. રામન અસર એ અણુ અને તેમના ઉત્સર્જિત શક્તિ સ્થાનોને લીધે ઉભી થાય છે અને આથી રોટેશનલ, વાઈબ્રેશનલ અને ઈલેકટ્રોનીક રામન અસર મળે છે. ઘન, પ્રવાહીને વાયુમાં રામન અસર જોઈ શકાય છે. આમ રામન અસરએ અણુ દ્વારા પ્રકાશ વિકિરણની આવૃત્તિમાં થતાં ફેરફાર સમજાવનારી ઘટના છે. આથી તેની મદદથી પરમાણુંનું બંધારણ, પ્રરમાણુની અથડામણ, રાસાયણિક બંધનોનો સ્વભાવ અને ક્રેઝ ટ્રાન્ઝીકશન વગેરે ઘટનાઓનો પૂર્ણ અભ્યાસ કરી શકાય છે. સી.વી.રામને ભારતીય વાદ્યો પર પણ સંશોધન કરેલ. સી.વી. રામન માત્ર વૈજ્ઞાનિક જ ન હતાં પરંતુ ભારતીય સંગીત-વાદ્યોના જ્ઞાતા હતા. તેઓ તબલા, સિતાર, સંતૂર જેવા તંતુ વાદ્યો ઉપર પણ તેઓએ અતિ મહત્વના સંશોધન કર્યાં તેઓ કલકત્તાથી ઈન્ડિયન જનરલ ઓફ ફિઝીક્સ અને બેંગ્લોરથી કરંટ સાયન્સનું પ્રકાશન કરી વિજ્ઞાનની સમજ આપતા હતાં. 

સમાપન :-      

સી.વી.રામને આજથી ૮૮ વર્ષ પહેલા લાભદાયી સંશોધન રજૂ કરેલું. દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને સમગ્ર વિશ્વમાં ઉપયોગી 'રામન અસર’ ફિઝીકસ વિજ્ઞાનમાં પ્રસ્તુત કરી હતી. આથી દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ ક્રાંતિકારી શોધને ૮૮ વર્ષ થશે. તેમણે Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physicsનામના પુસ્તકો લખ્યા હતા. સી.વી. રામનનું ૨૧ નવેમ્બર ૧૯૭૦ના રોજ બેંગ્લોરમાં અવસાન થયું.





Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra